માં અંબાના દર્શન અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જીલ્લામાંથી ૧૯૫ બસો થકી શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે નિઃશુલ્ક યાત્રા કરી શકશે
આગામી તા.૩૦, ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે. શક્તિ ,ભક્તિનો એક સાથે સુખદ સમન્વય એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ… માં અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનો સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાંથી તા ૩૦, ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન દરરોજ ૬૫ બસ અને ત્રણ દિવસમાં કુલ ૧૯૫ બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે.
આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિ:શુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર, પીવાના પાણી અને અન્ય જરૂરી વ્યવસ્થા તેમજ જરૂરતના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને પરિક્રમા સમયે ભોજનની વ્યવસ્થા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓ માં અંબાના ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ છે.
