સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના હેઠળ ઉત્પાદન સાથે જોડાયેલા સ્વસહાય જૂથો (SHG) ની બહેનોને વ્યાવસાયિક દ્રષ્ટિએ સજ્જ કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામક શ્રી કે. પી. પાટીદાર ના અધ્યક્ષસ્થાને બે દિવસીય ‘બિઝનેસ વેલનેસ તાલીમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, કારીગર ક્લિનિક સંસ્થા (અમદાવાદ) અને NRLM ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓના ઉદ્યમને માત્ર ‘કામ’ પૂરતું સીમિત ન રાખતા, તેને એક સફળ બિઝનેસ મોડલમાં પરિવર્તિત કરવાનો છે. યોગ્ય માર્ગદર્શન અને ટેકનિકલ સમજ દ્વારા ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં ઉદ્યમી બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે.
તાલીમના પ્રથમ દિવસે નિયામક શ્રી કે. પી. પાટીદારે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરવા માટે આ પ્રકારની તાલીમ અનિવાર્ય છે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્વસહાય જૂથના 30 જેટલા સભ્યો આ તાલીમમાં જોડાયા છે.
